| 13 |
|
न. |
પ્રાણીને તેના મરણ પછી શિક્ષા ભોગવવા માટે રહેવાનું સ્થાન; દોજખ; જહન્નમ; નરકલોક; નરકવાસો; નારકી જીવોનું રહેવાનું સ્થાન; પાતકી લોકોની સજા સારૂ યમલોકમાં નિર્માણ કરેલ સ્થળ. અનેક પુરાણો તથા ધર્મશાસ્ત્રોમાં નરક સંબંધમાં અનેક બીના મળે છે, પરંતુ તેનાતી અધિક પ્રાચીન ગ્રંથોમાં નરકનો ઉલ્લેખ નથી. અવું જણાય છે કે, વૈદિક સમયમાં લોકોમાં નરકની ભવના નહોતી. પુરાણો વગેરેમાં જણાવેલ ૨૮ નરકોનાં નામઃ તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, શૂકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તશૂમિ, વજંકંટકશાલ્મલી, વૈતરણી, પૂયોદ, પ્રાણરોધ, વિશસન, લાલાભક્ષ, સારમેયાદન, અવીચિ, અયઃપાન, ક્ષારકર્દમ, રક્ષગમભજન, શૂલપ્રોત, દંદશૂક, અવટનિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ. ભાગવતમાં જણાવ્યું છે કેઃ નરક પાતાળની નીચે ને ગર્ભોદક નામના જળની ઉપર જેત્રીશ હજાર યોજનનું અંતર રહ્યું છે ત્યાં આવેલાં છે. પાપી પુરુશ કોઈ કોઈ વાર ઘોર નામના નરકમાં જાય છે. તો કોઈ સુઘોર નામના નરકમાં જાય છે. વળી કોઈ અતિઘોર નરકમાં, તો કોઈ મહાઘોરમાં, કોઈ ઘોરરૂપમાં, કોઈ કરાલમાં, કોઈ ભયાનકમાં, કોઈ કાલરાત્રિમાં, કોઈ ભયોત્કટમાં, કોઈ ચંડમાં, કોઈ મહાચંડમાં, કોઈ ચંડકોલાહલમાં, કોઈ પ્રચંડમાં, કોઈ પદ્મમાં, કોઈ ભીમામાં, કોઈ ભીષણમાં, કોઈ કરાલવિકરાલમાં, કોઈવજીમાં, કોઈ ત્રિકોણમાં, કોઈ પદ્માવતી પદ્મકોણમાં, કોઈ સુદીર્ઘમાં, કોઈ ગોલમાં, કોઈ સપ્તભૌમમાં, કોઈ અષ્ટભૌમમાં, કોઈ દીપ્તમાં અને કોઈ રૌરવમાં જાય છે. એ પ્રમાણે પાપીઓને વિવિદ નરકોમાં સડ્યા કરવું પડે છે. મનુસ્મૃતિમાં નરકની સંખ્યા ૨૧ બતાવી છેઃ તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, નરક, મહાનરક, કાલસૂત્ર, સંજીવન, મહાવીચિ, તપન, પ્રતાપન, સંહાત, કાલોલ, કુડ્મલ, પ્રતિમૂર્તિક, લોહશંકું, ઋજીષ, શાલ્મલી, વૈતરણી, અસિપત્રવન અને લોહદારક. ભાગવતમાં પણ ૨૧ નરકનું વર્ણન છે તેનાં નામઃ તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિતપત્રવન, શૂકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, તપ્તશૂર્મિ, વજીકંટકશાલ્મલી, વૈતરણી, પૂયોદ, પ્રાણનૈધ, વિશસન, લાલભક્ષ, સારમેયાદન, અવીચિ અને અયઃપાન. તે ઉપરાંત ક્ષારમર્દન, રક્ષગમભોજન, શૂલપ્રોત, દંદશૂક, અવટનિરોધન, પર્યાવર્તન અને સૂચિમુખ એમ એમ સાત નરક પણ માનેલા છે. વળી વસાકુંડ, તપ્તકુંડ, સર્પકુંડ, ચક્રકુંડ, વગેરે ઘણાં નરકકુંડ પુરાણોમાં માનેલા છે. ભિન્ન ભિન્ન પાપ કરવાના કારણે મનુષ્યના આત્માને ભિન્ન ભિન્ન નરકમાં હજારે વર્ષ સુધી રહેવું પડે છે. ત્યાં તેને ઘણીજ પીડા દેવામાં આવે છે. મુસલમાનો અને ખ્રિસ્તીઓમાં પણ નરકની કલ્પના છે. પરંતું તેમાં આ પ્રમાણેના ભેદ નથી. તેઓની માન્યતા પ્રમાણે નરકમાં હંમેશા ભીષણ આગ બળ્યા કરે છે. તેઓ સ્વર્ગને ઉપર અને નરકને નીચે પાતાળમાં માને છે. જૈનૌ સાત નરક ભૂમિ માને છેઃ (૧) રત્નપ્રભા (૨) શર્કરાપ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમઃપ્રભાઅને (૭) તમઃતમઃપ્રભા અથવા મહાતમઃપ્રભા. એ સાત નરકમાં પ્રાણીઓની સ્થિતિ અનુક્રમે એક, ત્રણ, સાત, દશ, સતર, બાવીશ, અને તેત્રીશ સાગરોપમની છે. આ સાતે ભૂમિ એકબીજાથી નીચે છે., પરંતું એકબીજાને અડીને રહેલી નથી. એકબીજાની વચમાં બહુ મોટું અંતર છે. આ અંતરમાં ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અને આકાશ ક્રમથી નીચે નીચે છે. પહેલી નરકભૂમિની નીચે ઘનોદધિ, તેની નીચે ઘનુવાત, તેની નીચે તનુવાત અને તેની નીચે આકાશ છે. આકાશની પછી બીજી નરકભૂમિ છે. આ પ્રમાણે સાતમી નરકભૂમિ સુધી બધી ભૂમિની નીચે એ ક્રમથી ઘનોદધિ વગેરે છે. પહેલી ભૂમિ રત્નપ્રધાન હોવાથી રત્નપ્રભા કહેવાય છે. શર્કરા એટલે કાંકરાની બહુલાતને લીધે બીજી શર્કરાપ્રભા, વાલુકા એટલે રેતીની મુખ્યતાને લીધે ત્રીજી વાલુકાપ્રભા, પંક એટલે કાદવની અધિકતાથી ચોથી પંકપ્રભા, ધૂમ એટલે ધુમાડાની અધિકતાથી પાંચમી ધૂમપ્રભા, તમઃ એટલે અંધારાની વિશિષ્ટાથી છઠ્ઠી તમઃપ્રભા અને મહાતમઃપ્રભા એટલે ઘન અંધકારની પ્રચુરતાથી સાતમી ભૂમિ મહાતમઃપ્રભા કહેવાય છે. એ સાતેનાં નામ ક્રમપૂર્વક ઘમ્મા, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મધા અને માધવી છે. પહેલી રત્નપ્રભા નામની નરકભૂમિમાં ૩૦ લાખ, બીજીમાં ૨૫ લાખ, ત્રીજીમાં ૧૫ લાખ, ચોથીમાં ૧૦ લાખ, પાંચમીમાં ૩ લાખ, છઠ્ઠીમાં ૯૯૯૯૫ અને સાતમી ભૂમિમાં પાંચ નરકાવાસ એટલે નારકી જીવોને રહેવાનાં સ્થાન છે. બૌદ્ધધર્મી નીચે મુજબ નરક માને છેઃ અર્બુદ, નિરર્બુદ, અબબ, અહહ, અટટ, કુમુદ, સૌગંધિક, ઉત્પલક, પુંડરીક અને પદ્મ. તે ધર્મવાળા માને છે કે, વીશ ખારી તલના ગાડામાંથી દર સોમે વર્ષે એક તલ કાઢવામાં આવે તોતે ક્રમે તલ વહેલા ખલાસ ન થાય. અર્બુદથી વીશગણું નિરર્બુદ નરકમાનું આયુષ્ય, તેનાથી વીશગણું અબબ નરકનું. તેનાથી વીશગણું અહહ નરકનું. તેનાથી વીશગણું અટટ નરકનું, તેનાથી વીશગણું કુમુદ નરકનું, તનાથી વીશગણું સૌગંધિક નરકનું, તેનાથી વીશગણું ઉત્પલક નરકનું, તેનાથી વીશગણું પુંડરીક નરકનું અને તેનાથી વીશગણું પદ્મ નરકનું આયુષ્ય મનાય છે.
|